રવિવાર, 24 નવેમ્બર, 2013

અકબર-બિરબલ પ્રામાણિકતાની કસોટી



એક દિવસ બિરબલે રાજાને ફરિયાદ કરીઃ"રાજ્યમાં લોકો અપ્રામાણિક થઈ ગયા છે.એકબીજાને છેતરે છે.આપણે કાંઈક કરવું જોઈએ." અકબર રાજા બોલ્યાઃ"મારા રાજ્યમાં લોકો પ્રામાણિક જ છે.તને વહેમ છે કે લોકો અપ્રામાણિક છે.બોલ્યા પછી તેમને વિચાર આવ્યો કે બિરબલ તો બહુ બાહોશ છે  તે ખાલીખાલી કાંઈ ના કહે.મારે જણવું જોઈએ કે લોકો પ્રામાણિક છે કે નહીં?
                        તેમણે બિરબલને બોલાવીને કહ્યું;"બિરબલ, રાજ્યમાં લોકો પ્રામાણિક છે કે નહીં તે જાણવું છે.તું કાંઈ યોજના બનાવ." બિરબલ કહેઃ" ભલે હું કાલે વિચારીને કહીશ."
              બીજા દિવસે બિરબલ રાજાને કહેઃ"રાજાજી, એમ કરો તમે રાજ્યમાં જે મોટું તળાવ છે તે ખાલી કરાવી નાંખો અને લોકોને જણાવો કે દરેક માણસ રાત્રે એક એક લોટો દૂધ્ તળાવમાં નાંખી આવે. આથી આખું તળાવ દૂધથી ભરાઈ જશે." રાજા કહેઃ"આ કામ ને અને પ્રામાણિકતાને શો સંબંધ છે?" બિરબલ બોલ્યોઃ"તમે આટલું તો કરાવો પછી આપણે જોઈએ."
             રાજાએ તળાવ ખાલી કરાવ્યું અને ઢંઢેરો પીટાવ્યો કે દરેક માણસે રાત્રે એક એક લોટો દૂધ તળાવમાં નાખવું. લોકો તો વિચારમાં પડી ગયા.પછી થયું"રાજા, વાજા ને વાંદરા..મનમા કંઈ તુક્કો આવ્યો હશે.."
દરેક માણસે વિચાર્યું"બધા જ લોકો એક પછી એક લોટો ભરીને દૂધ જનાંખવના છે ને? લાવને હું એક લોટો પાણી જ નાખું." અંધારી રાત હતી અને દરેક માણસ એક એક લોટો પાણી તળાવમાં નાખી આવ્યા.દરેકને એમ કે બીજાઓએ તો દૂધ જ નાંખ્યુ હશે.
             સવારે બિરબલ કહે:" ચાલો રાજાજી, તળાવ જોવા જઈએ.દૂધથી ભરેલું હશે." રાજા અને બિરબલ તો તળાવે ગયા અને જુએ તો આખું તળાવ પાણીથી ભરેલું હતું!! બિરબલ કહેઃ'જોયું ને રાજાજી, લોકો કેટલા પ્રામાણિક છે?" રાજા બોલ્યાઃ"બિરબલ, તેં એવું કેમ કહ્યું કે લોકો રાત્રે જ દૂધ નાંખવા જાય?"બિરબલ કહેઃ"રાજાજી, દિવસે તો દરેકને ખબર પડી જાય કે મારી જેમ બીજાએ પણ પાણી જ નાખ્યું છે."રાત્રે અંધારામાં ખબર ના પડે."
                 રાજા તરત સમજી ગયા કે બિરબલ સાચો હતો.રાજ્યમાં લોકોઅપ્રામાણિક બની ગયા હતા. તેમણે તરત જ લોકો પ્રામાણિક બને તે માટેના ઉપાયો શોધી કાઢ્યા.


Sent from my h.mangukiya